Mateus 9

Gujarati Bible (GL_GUJARATI)

1 ઈસુ હોડીમાં બેઠો અને સરોવરને પેલે પાર ગયો અને પોતાના શહેરમાં આવ્યો.

2 કેટલાએક લોકો પથારીવશ પક્ષઘાતી માણસને ઈસુ પાસે લાવ્યા. ઈસુએ જોયું કે તેઓને વિશ્વાસ છે તેથી ઈસુએ તે પક્ષઘાતી માણસને કહ્યું, “હે યુવાન માણસ, હિમ્મત રાખ. સુખી થા. તારાં બધાંજ પાપ માફ કરવામાં આવે છે.”

3 કેટલાએક શાસ્ત્રીઓએ આ સાંભળ્યું અને અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે, “આ માણસ પોતે જ દેવ હોય તેમ બોલે છે. આ રીતે તે દેવની વિરૂદ્ધ બોલે છે.”

4 ઈસુએ જાણ્યું કે તેઓ શું વિચારે છે તેથી ઈસુએ કહ્યું, “તમે તમારા મનમાં આવા ભૂંડા વિચારો શા માટે કરો છો?”

5 માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે. પણ આ તમારી આગળ કેવી રીતે સાબિત કરી શકું? તમે એમ ધારતા હશો કે, ‘તારાં પાપ માફ થયાં છે.’ એમ કહેવું સહેલું છે, પણ ખરેખર એમ થયું તે કોઈ જોઈ શક્તું નથી.

6 પણ જો હું એ માણસને એમ કહું, ‘ઊઠ, તારી પથારી લઈને ચાલતો થા,’ તો શું? તો તમે જોઈ શકશો કે ખરેખર મને અધિકાર છે.” તેથી ઈસુએ પક્ષઘાતી માણસને કહ્યું, “ઊભો થા, તારી પથારી ઉપાડ અને તારે ઘેર જા.”

7 અને તે માણસ ઉભો થયો અને ઘેર ચાલ્યો ગયો.

8 લોકોએ આ જોયું અને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને લોકોએ દેવની સ્તુતિ કરી કારણ કે દેવે આવો અધિકાર માણસોને આપ્યો.

9 ઈસુ તે રસ્તે થઈને જતો હતો ત્યારે, તેણે કર ઉઘરાવવાની ઓફિસમાં માથ્થી નામના માણસને જોયો. ઈસુએ તેને કહ્યું, “મારી પાછળ ચાલ.” અને માથ્થી ઊભો થયો અને ઈસુને અનુસર્યો.

10 ઈસુએ માથ્થીના ઘરે તેના શિષ્યો સાથે ભોજન લીધું. ત્યારે ત્યાં કર ઉઘરાવનારા અને પાપીઓ પણ જમતા હતાં.

11 ફરોશીઓએ ઈસુને આવા માણસો સાથે ખાતાં જોયો તેથી તેના શિષ્યોને કહ્યું કે, “તમારો ઉપદેશક કર ઉઘરાવનારા તથા પાપીઓ સાથે શા માટે ભોજન લે છે?”

12 ઈસુએ આ સાંભળીને કહ્યું, “જેઓ તંદુરસ્ત છે તેમને વૈદની જરૂર નથી. જેઓ બિમાર છે તેમને વૈદની જરૂર છે.

13 ઈસુએ કહ્યું, “તમે શાસ્ત્રનો અર્થ સમજો; ‘હું પશુઓના બલિદાન નથી ઈચ્છતો, હું દયા ઈચ્છું છું,’ હું સારા લોકોને આમંત્રણ આપવા નથી આવ્યો પણ પાપીઓને તેડવા આવ્યો છું.”

14 પછી યોહાનના શિષ્યો ઈસુની પાસે આવ્યા. તેઓએ ઈસુને પૂછયું કે, “અમે અને ફરોશીઓ વારંવાર ઉપવાસ કરીએ છીએ તો તારા શિષ્યો શા માટે ઉપવાસ કરતા નથી?”

15 ઈસુએ ઉત્તર આપ્યો, “જ્યાં સુધી તેમની સાથે વરરાજા હોય ત્યાં સુધી વરરાજાના મિત્રો પાસે ઉદાસીનતાની અપેક્ષા રાખી શકાય? અલબત્ત નહિ જ, પરંતુ જ્યારે તેઓની પાસેથી વરરાજા લઈ લેવાશે ત્યારે સમય આવશે પછી તેઓ ઉપવાસ કરશે.

16 “જો કોઈ જૂનાં કપડાં પર કોરા કપડાંનું થીંગડું મારે તો એ થીંગડાંથી કપડાંમાં કાણું વધારે મોટુ બનશે.

17 લોકો તાજો દ્રાક્ષારસ ભરવા માટે જૂની મશકોનો ઉપયોગ નથી કરતાં તેમ કરવાથી જૂની મશકો ફાટી જશે, ત્યાર પછી દ્રાક્ષારસ વહીજશે અને બંને દ્રાક્ષારસ અને દ્રાક્ષારસની મશકો નાશ પામશે. તેથી લોકો હંમેશા નવો દ્રાક્ષારસ ભરવા માટે નવી જ મશકોનો ઉપયોગ કરે છે. આમ કરવાથી દ્રાક્ષારસ અને મશકો બંને સારી રીતે સાચવી શકાય છે.”

18 ઈસુ જ્યારે આ વાતો કહતો હતો, ત્યારે સભાસ્થાનનો એક અધિકારી આવ્યો અને તેને પગે પડ્યો અને કહ્યું કે, “મારી દીકરી હમણાં જ મરણ પામી છે. તું આવીને માત્ર તારા હાથથી તેને સ્પર્શ કર તો તે સજીવન થશે.”

19 તેથી ઈસુ ઊભો થયો અને તેને ઘેર ગયો. તેના શિષ્યો તેની પાછળ ગયાં.

20 એક સ્ત્રી હતી, જે છેલ્લા બાર વર્ષથી લોહીવાના રોગથી પીડાતી હતી તેણે પાછળથી આવીને ઈસુના ઝભ્ભાની નીચલી કોરને સ્પર્શ કર્યો.

21 સ્ત્રી વિચારતી હતી કે, “જો હું માત્ર તેના ઝભ્ભાને સ્પર્શ કરીશ તો હું સાજી થઈ જઈશ.”

22 ઈસુ તેની તરફ વળ્યો અને તે સ્ત્રીને જોઈ કહ્યું, “દીકરી હિંમ્મત રાખ, તારા વિશ્વાસે તને સાજી કરી છે.” તે જ પળે તે સ્ત્રી સાજી થઈ ગઈ.

23 ઈસુ અધિકારીની સાથે તેના ઘેર આવી પહોચ્યો અને ઘરમાં ગયો ત્યારે તેણે વાંસળી વગાડનારાઓને અને ઘણા લોકોનેદન કરતા જોયા.

24 ઈસુએ કહ્યું, “આઘા ખસો, કારણ કે છોકરી મરણ નથી પામી. તે ઊંધે છે.” આ સાંભળી લોકો તેના તરફ હસવા લાગ્યા.

25 લોકોનું ટોળું ઘરની બહાર ગયું. ઈસુ છોકરીના ઓરડામાં ગયો. ઈસુએ છોકરીનો હાથ પકડ્યો અને તે છોકરી ઉભી થઈ.

26 આ સમાચાર આજુબાજુના સમગ્ર વિસ્તારમાં પ્રસરી ગયા.

27 જ્યારે ઈસુ ત્યાંથી જતો હતો ત્યારે બે આંધળા માણસો તેની પાછળ પાછળ ગયા. તેઓ જોરથી બૂમ પાડવા લાગ્યા. “ઓ દાઉદના દીકરા, અમારા પર દયા કર.”

28 ઈસુ અંદર ઘરમાં ગયો, ત્યાં તેઓ પણ તેની પાછળ ગયા. ઈસુએ તેમને પૂછયું, “હું તમને ફરીથી દેખતા કરી શકું એવો વિશ્વાસ છે?” આંધળા માણસોએ ઉત્તર આપ્યો કે, “હા પ્રભુ, અમે વિશ્વાસ કરીએ છીએ.”

29 પછી તેઓની આંખોને સ્પર્શ કરી ઈસુ બોલ્યો, “તમે વિશ્વાસ રાખો છો તો તે પ્રમાણે થાઓ.”

30 અને તરત જ તેઓ દેખતા થયા. ઈસુએ તેઓને કહ્યું, “તમે આ વિષે કોઈને વાત ન કરતા.”

31 પરંતુ આંધળા માણસો ત્યાંથી ચાલ્યા ગયા અને ઈસુની આ કીર્તિ તેઓએ આખા વિસ્તારમાં ફેલાવી.

32 આગળ જતાં લોકો ઈસુની પાસે બીજા એક માણસને લઈને આવ્યા, આ માણસને અશુદ્ધ આત્મા વળગેલો હતો. તે મૂંગો હતો.

33 ઈસુએ અશુદ્ધ આત્માને હાંકી કાઢ્યો કે તરત જ તે મૂંગો માણસ બોલતો થયો, લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા: “અગાઉ ઈસ્રાએલમાં આવું કદાપિ જોવામાં આવ્યું નથી.”

34 પરંતુ ફરોશીઓએ કહ્યું, “તે (ઈસુ) અશુદ્ધ આત્માના સરદાર (શેતાન) થી જ અશુદ્ધ આત્માઓને કાઢે છે.”

35 ઈસુએ તે વિસ્તારના તમામ શહેરો અને ગામડાઓમાં જઈને યહૂદિ સભાસ્થાનોમાં દેવના રાજ્ય વિષેની સુવાર્તા આપી. અને જે લોકો બધાજ પ્રકારના રોગો અને માંદગીથી પીડાતા હતા તેમને સાજા કર્યા.

36 ઈસુએ ઘણા લોકોને જોયા અને તેઓ પર તેને કરૂણા ઉપજી કારણ કે તેઓ થાકેલા અને અસહાય હતા. તેઓ પાળક વિનાના ઘેટાં જેવા હતા.

37 ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, “માણસોરૂપી પાક (બચાવ) પુષ્કળ છે. પણ મજૂરો ઓછા છે.

38 તેથી પાકના (લોકો) ધણીને પ્રાર્થના કરો કે કાપણી કરવા વધારે મજૂરો મોકલી આપે.”

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Mateus 9, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.