Jeremias 8

Gujarati Bible (GL_GUJARATI)

1 યહોવા કહે છે, “જ્યારે એ સમય આવશે ત્યારે યહૂદિયાના રાજાઓનાં અને તેમના આગેવાનોનાં, યાજકોનાં અને પ્રબોધકોનાં તેમજ યરૂશાલેમના વતનીઓના હાડકાં તેમની કબરોમાંથી બહાર કાઢવામાં આવશે.

2 અને તેઓનાં હાડકાં સૂર્ય, ચંદ્ર અને આકાશનાં નક્ષત્રો સમક્ષ પાથરવામાં આવશે, જેમના પર તેમને પ્રેમ હતો, જેમની તેઓ પૂજા કરતા હતા, જેમની તેઓ સલાહ લેતા હતા. એ હાડકાં ફરી ભેગાં કરવામાં કે દાટવામાં નહિ આવે, પરંતુ પૃથ્વીના પટ પર ખાતરરૂપ થઇ જશે.

3 “અને આ દુષ્ટ પ્રજામાંથી જેઓ જીવતાં રહેશે, તેઓને હું જ્યાં જ્યાં વિખેરી નાખીશ, ત્યાં ત્યાં તેઓ જીવવા કરતાં મરવું વધારે પસંદ કરશે.” એમ આ યહોવાના વચન છે.

4 તું એ લોકોને કહેજે કે આ યહોવાના વચન છે. “કોઇ પડી જાય છે તો પાછો ઊભો થાય છે. કોઇ રસ્તો ભૂલે છે તો પાછો ભૂલ સમજાતા સાચે રસ્તે પાછો ફરે છે.

5 તો પછી તમે મારાથી મોં ફેરવીને ગયા છો તો પાછા કેમ નથી ફરતા? તમે તમારી ભ્રામક મૂર્તિઓને વળગી રહો છો અને પાછા આવવાની ના પાડો છો.

6 મેં તમને ધ્યાનથી સાંભળ્યા છે, પણ કોઇ સાચું બોલતું નથી, કોઇ પોતાની દુષ્ટતા માટે પશ્ચાતાપ કરતું નથી, કહેતું પણ નથી કે, “અરે અમે આ શું કર્યું?” જેમ ઘોડો યુદ્ધના મેદાનમાં વેગથી ધસે છે, તેમ તેઓ પાપનાં રસ્તા પર વેગથી આગળ વધે છે.

7 આકાશમાં ઊડતો બગલો પણ પોતાના સ્થળાંતરનો સમય જાણે છે, તેમ જ હોલો, અબાબીલ તથા સારસ પણ જાણે છે, પ્રતિવર્ષ તેઓ સર્વ યહોવાએ તેમના માટે નિર્ધારિત કરેલા સમયે પાછા ફરે છે; પરંતુ મારા લોકોને યહોવાના નિયમનું ભાન નથી.

8 તમે એવું શી રીતે કહી શકો કે, ‘અમે શાણા છીએ, અમારી પાસે યહોવાનુ નિયમશાસ્ત્ર છે’ શાસ્ત્રીઓએ જૂઠી કલમો દ્વારા નિયમશાસ્ત્રમાં જૂઠ દાખલ કર્યું છે!

9 ‘શાણા માણસો લજ્જિત થશે, તેઓ ડરી જશે અને તેમના કામો ઉઘાડા પડી જશે. નોંધી રાખજો, આ યહોવાના શબ્દો તેમણે નકાર્યા હતા. તેમની પાસે કેવું શાણપણ હોઇ શકે?

10 હું તેમની પર દુકાળ, તરવાર અને બીમારી મોકલી દઇશ. હું તેમની પર ત્યાં સુધી હુમલો કરીશ જ્યા સુધી તે મરી નહિ જાય, ત્યારે તેઓ આ ભૂમિ પર સદાને માટે નહી રહે. જે મેં તેમને અને તેમના પિતૃઓને આપી હતી.

11 તેઓ મારા લોકોના ઘા નો સામાન્ય ઉઝરડા હોય એમ ઉપચાર કરે છે. તેઓ કહે છે કે, ‘બરાબર છે, બધું બરાબર છે.’ પણ લગારે બરાબર નથી.

12 મૂર્તિઓની પૂજા કરવાને લીધે, શું તેઓને શરમ લાગે છે? ના, તેઓને સહેજે શરમ લાગતી નથી; વળી શરમ શું છે તે પણ તેઓ જાણતા નથી! તે કારણે હું જોઇશ કે આથી બીજાની જેમ તેમનું પણ પતન થશે. હું જ્યારે તેમને સજા કરીશ ત્યારે તેઓ ભોંયભેગા થઇ જશે.” આ યહોવાના વચન છે.

13 યહોવા કહે છે કે, “હું તેઓનો સંપૂર્ણ નાશ કરીશ; વળી દ્રાક્ષાવેલા પર કઇં દ્રાક્ષો થશે નહિ, ને અંજીરીને અંજીર લાગશે નહિ, ને પાંદડા ચીમળાશે; મેં તેઓને જે કઇં આપ્યું છે તે તેઓની પાસેથી જતું રહેશે.” આ યહોવાના વચન છે.

14 પછી યહોવાના લોકો કહેશે, “અહીં આપણે મરણ પામવાની પ્રતિક્ષા શા માટે કરીએ? આવો, આપણે કિલ્લેબંધ નગરોમાં જઇએ અને ત્યાં મૃત્યુ પામીએ, કારણ કે આપણા દેવ યહોવાએ આપણું મૃત્યુ જાહેર કર્યું છે અને આપણા સર્વ પાપોને કારણે દેવે આપણને ઝેરનો પ્યાલો પીવાને આપ્યો છે.

15 આપણે શાંતિની અપેક્ષા રાખી હતી, પરંતુ કઇં શાંતિ થઇ નહિ, આપણે કુશળ સમયની રાહ જોઇ હતી, પરંતુ તેના બદલે ભય આવી પડ્યો.”

16 ઉત્તર દિશાની સરહદ ઉપરથી યુદ્ધના ભણકારા સંભળાઇ રહ્યા છે. દુશ્મનો દાનના કુળસમૂહોના શહેર સુધી આવી પહોંચ્યા છે; ત્યાંથી તેમના ઘોડાઓના હણહણાટ સંભળાય છે, તેમના હણહણાટથી આખો દેશ ધ્રુજી ઊઠે છે, એ લોકો આખો પ્રદેશ અને એમનું સર્વસ્વ, શહેરો અને તેના વતનીઓને ભરખી જવા આવે છે.”

17 યહોવા કહે છે, “સાવધાન! હવે હું તમારા પર સપોર્ અને નાગો મોકલું છું, એવા કે જેને કોઇ મંત્રથી વશ ન કરી શકે, તે તમને કરડશે.”

18 દેવ મારું હૃદય થાકી ગયું છે, શોક મને ઘેરી વળે છે.

19 સાંભળ! દુર સુધી દેશમાં મારા લોકોની ચીસ સંભળાય છે, તેઓ કહે છે, “યહોવા હવે સિયોનમાં નથી? સિયોનના રાજાઓનો રાજા એમાં વસતો નથી?” યહોવાએ પ્રત્યુત્તર આપ્યો, “તમારી કોતરેલી મૂર્તિઓની પૂજા કરીને અને તમારા વિદેશી દેવો દ્વારા શા માટે મને ક્રોધિત કર્યો છે?”

20 લોકો કહે છે, “કાપણી પૂરી થઇ છે, ઉનાળો વિતી ગયો છે, પણ આપણું તારણ ન થયું.”

21 મારા લોકોના ઘા જોઇને મારું હૈયું ઘવાય છે, હું શોક કરું છું; અને હું વિશાદથી દિગ્મૂઢ થઇ ગયો છું.

22 શું હવે ગિલયાદમાં દવા નથી? ત્યાં કોઇ વૈદ્ય નથી? તો પછી મારા લોકોના ઘા રુઝાતા કેમ નથી?

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Jeremias 8, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.