Jeremias 6

Gujarati Bible (GL_GUJARATI)

1 હે બિન્યામીનના લોકો, જીવ બચાવવા ભાગો, યરૂશાલેમમાંથી નીકળી જાઓ, તકોઆમાં રણશિંગડું વગાડો અને બેથ-હાક્કેરેમ પર ચેતવણીનો દીવો પેટાવો, સર્વને ચેતવણી આપો કે ઉત્તર તરફથી સાર્મથ્યવાન લશ્કર મહાવિનાશ કરવા આવી રહ્યું છે.

2 તુ ખૂબ સુંદર અને અડકવામાં નાજુક છે, પણ “સિયોનની દીકરી, હું તારો નાશ કરવાનો છું.”

3 ઘેટાંપાળકો પોતાનાં ટોળા લઇને ત્યાં આવે છે. એની ફરતે તંબુઓ નાંખે છે, દરેક જણ પોતાને ગમે તે જગ્યાએ ચરશે.

4 તેઓ કહે છે: “તેની સામે યુદ્ધે ચડવા માટે તૈયાર થાઓ; ચાલો, આપણે ભરબપોરે તેના પર હુમલો કરીએ. હાય રે! દિવસ તો ઢળી ગયો, સંધ્યાની છાયા લંબાતી જાય છે!

5 તો ચાલો, આપણે તેના પર રાતે હુમલો કરીને તેના મહેલોનો નાશ કરીએ.”

6 આમ સૈન્યોના દેવ યહોવાએ આ પ્રમાણે કહ્યું છે, “તેણીના વૃક્ષો કાપી નાખો અને યરૂશાલેમ પર આક્રમણ કરવા મોરચાઓ ઊભા કરો. આ નગર તો દંડને પાત્ર છે કારણ કે એમાં જુલમ સિવાય બીજું કશું નથી.

7 જેમ ઝરો પાણીથી ઊભરાય છે તેમ એ દુષ્ટતાથી ઊભરાય છે. નગરમાં મારઝૂડ અને લૂંટફાટ સિવાય કશું જ સંભળાતું નથી, માંદગી અને ધા સિવાય કશું જોવા મળતું નથી.

8 માટે યરૂશાલેમ, આ ચેતવણી પર તું ધ્યાન આપ. નહિ તો ધૃણાથી હું તારો ત્યાગ કરીશ. તને વસ્તી વગરનું વેરાન બનાવી દઇશ.”

9 સૈન્યોના દેવ યહોવાએ મને કહ્યું, “તમારા પર એક પછી એક આફત આવી પડશે અને ઇસ્રાએલમાં જે થોડાં બાકી રહેલા હશે તેઓને શોધીને લઇ જવામાં આવશે. દ્રાક્ષા તોડનાર વેલા પર ચંૂટાયા વગર રહી ગયેલી દ્રાક્ષાઓને એકત્ર કરવા ફરીથી વેલાને તપાસી જુએ છે, તેમ બચાવી લીધેલા મારા થોડા લોકોને તું જરૂર જોતો હોઇશ.”

10 મેં જવાબ આપ્યો, “મારે કોને કહેવું? કોને ચેતવવા? કોણ સાંભળશે? તેમના કાન તમારા વિષે કંઇ સાંભળવા માંગતા નથી. હા, તેઓ યહોવાના વચનને નિંદાસ્પદ ગણે છે, તેઓને તે ગમતા નથી.

11 પણ, યહોવા, હું તારા રોષથી ભર્યોભર્યો છું, હું એને અંદર સમાવી શકતો નથી.” ત્યારે યહોવાએ કહ્યું, “તો એને મહોલ્લામાં રમતાં નાનાં બાળકો પર અને ટોળે વળતા તરુંણો પર ઠાલવ, પતિ, પત્ની, અને ઘરડાઓ સુદ્ધાં બધા જ એનો ભોગ બનશે.

12 તેઓના શત્રુઓ તેઓનાં ઘરોમાં વાસો કરશે અને તેઓનાં ખેતરો તથા પત્નીઓ લઇ લેશે. કારણ કે હું આ દેશના લોકોને શિક્ષા કરીશ.” આ યહોવાના વચન છે.

13 “કારણ કે તેઓ બધા સામાન્ય માણસથી માંડીને છેક ઉચ્ચ અધિકારી સુધી સર્વ તેમના લોભ દ્વારા ખોટા લાભો મેળવે છે, અને તેમના પ્રબોધકો અને યાજકો પણ તેવી જ છેતરામણી રીતે વતેર્ છે!

14 તેઓ મારા લોકોના ઘાને સામાન્ય ઉઝરડા હોય એમ ઉપચાર કરે છે, તેઓ કહે છે કે, ‘બરાબર છે, બધું બરાબર છે.’ પણ લગારે બરાબર નથી.

15 પોતાનાં અધમ કૃત્યોની તેમને લાજ શરમ આવે છે ખરી? લાજશરમ? એમને વળી લાજશરમ કેવી? તેઓ ભોંઠપણને ધોળીને પી ગયા છે. તેથી બીજાની જેમ તેમનું પણ પતન થશે, હું જ્યારે તેમને સજા કરીશ ત્યારે તેઓ ઠોકર ખાઇને ભોંયભેગા થઇ જશે.” આ યહોવાના વચન છે.

16 હજુ પણ યહોવા તમને સમજાવે છે: “જુઓ, ભૂતકાળના વષોર્માં તમે દેવના માગોર્માં ચાલતા હતા. તો જે ઉત્તમ માર્ગ છે તેની શોધ કરીને તે માગેર્ ચાલો. ત્યાં તમારા આત્માને શાંતિ મળશે. પણ તમે પ્રત્યુત્તર આપો છો, ‘ના, અમારે એવા રસ્તા પર ચાલવું નથી!’

17 તમને ચેતવણી આપવા મેં તમારા પર ચોકીદારો નીમ્યા. ‘રણશિંગડાનો અવાજ સાંભળજો, વિપત્તિ આવતી હશે, ત્યારે તે તમને ચેતવી દેશે.’ પરંતુ તમે કહ્યું, ‘ના, અમે તે તરફ ધ્યાન આપીશું નહિ.’

18 આથી યહોવાએ કહ્યું, “હે પ્રજાઓ, તમે સાંભળો, અને જાણી લો કે મારા લોકોના શા હાલ થવાના છે.

19 હે પૃથ્વીના લોકો, સાંભળો, અને નોંધી રાખો, કે તે લોકો પર હું આફત ઉતારનાર છું. એ એમના કાવાદાવાનું ફળ છે. તેમણે મારા શબ્દો કાને ધર્યા નથી; અને તેમણે મારા નિયમશાસ્ત્ર નો અસ્વીકાર કર્યો છે.”

20 યહોવા કહે છે, “હવે મારી સમક્ષ શેબાથી દૂરદેશાવરથી મંગાવેલ ધૂપ-લોબાન બાળવાથી કાઇં વળવાનું નથી. તમારી કિંમતી સુગંધીઓ સાચવી રાખો! હું તમારા અર્પણો સ્વીકારી શકતો નથી. તેમાં મને પ્રસન્ન કરતી સુગંધ નથી.

21 યહોવા કહે છે, “તેથી હું મારા એ લોકોને ઠોકર ખવડાવીશ અને તેઓ ભૂમિ પર પછડાશે; પિતા અને પુત્ર, પડોશી અને મિત્ર બધા જ નાશ પામશે.”

22 યહોવા કહે છે, “ઉત્તરમાંથી એક પ્રજા આવી રહી છે, પૃથ્વીને દૂરને છેડે એક બળવાન પ્રજા યુદ્ધની તૈયારી કરી રહી છે.

23 તેઓ ક્રૂર અને નિર્દય છે, શસ્ત્રસજ્જ થઇ ઘોડેસવારી કરતા આવે છે, તેઓની કૂચનો અવાજ ઘૂઘવતા સમુદ્ર જેવો છે. હે સિયોનની દીકરી, તેઓ તારી વિરુદ્ધ લડાઇ કરવા તૈયાર છે.”

24 લોકો કહે છે, “અમે સમાચાર સાંભળ્યા છે, અમારા ગાત્રો ગળી ગયા છે. અમને વેદના જાગી છે, જાણે પ્રસૂતિની વેદના.

25 બહાર ખેતરોમાં જશો નહિ, રસ્તાઓ પર મુસાફરી કરશો નહિ કારણ કે સર્વત્ર શત્રુ છે અને સંહાર કરવાને તત્પર છે. ચારે તરફ ભય છે.

26 હે મારા પ્રિય લોકો શોકનાં વસ્ત્રો ધારણ કરો, રાખમાં બેસો, અને એકના એક પુત્રને માટે હોય તેમ ભગ્નહૃદયે ચિંતા કર. કારણ કે વિનાશ કરનાર સૈન્યો એકાએક આપણા પર ચઢી આવશે.

27 યમિર્યા, મેં તને ધાતુઓનો પારખનાર કર્યો છે, મારા લોકોની પરીક્ષા કર, અને તેઓનું મૂલ્ય નક્કી કર. તેઓ શું કહે છે તે તું સાંભળ. અને તેઓ શું કરે છે તે તું જો.

28 “એ બધા અધમ બંડખોરો અને યહોવાની વિરુદ્ધ દુષ્ટતા ભરેલી વાતો કરનારા નથી? તેઓ પિત્તળ જેવા કઠોર અને લોખંડ જેવા ક્રૂર છે.

29 ધમણ ચાલે છે, વેગથી હવા ફૂંકે છે. અને શુદ્ધ કરનારો અગ્નિ વધુ પ્રબળ બની અતિશય ગરમી આપતો જાય છે. આવો અગ્નિ પણ તેઓને શુદ્ધ કરી શકતો નથી. કારણ કે તેઓમાંથી કોઇ જ પ્રકારની શુદ્ધતા બહાર આવી શકે તેમ નથી. તો પછી શુદ્ધિકરણની પ્રક્રિયા શા માટે ચાલુ રાખવી? તે બધુંજ કચરો છે. અગ્નિ ગમે તેટલો પ્રબળ બને પણ તેઓ તો પોતાના દુષ્ટ માગોર્માં ચાલુ જ રહે છે.

30 તેઓ ‘નકારેલી ચાંદી એમ કહેવાય છે. કારણ કે યહોવાએ તેમનો નકાર કર્યો છે.”

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Jeremias 6, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.