Jeremias 42

Gujarati Bible (GL_GUJARATI)

1 પછી કારેઆહનો પુત્ર યોહાનાન અને હોશાયાનો પુત્ર યઝાન્યા પણ બધા સૈનાનાયકો; નાના મોટા બધા લોકો સાથે પ્રબોધક યમિર્યા પાસે ગયા અને કહેવા લાગ્યા.

2 “કૃપા કરીને અમારી અરજ સાંભળો, અમારા તરફથી અને બાકી રહેલા આ લોકો તરફથી તમારા દેવ યહોવાને પ્રાર્થના કરો.

3 તમે જુઓ છો કે અમે કેટલા બધા હતા અને કેટલા ઓછા થઇ ગયા છીએ. તમે એવી પ્રાર્થના કરો જેથી અમારા દેવ યહોવા અમારે ક્યાં જવું અને શું કરવું તે કહે.”

4 પ્રબોધક યમિર્યાએ કહ્યું, “ઠીક, મેં તમારી અરજ સાંભળી છે. હું તમારી ઇચ્છા મુજબ તમારા દેવ યહોવાને પ્રાર્થના કરીશ અને તે જે જવાબ આપશે તે તમને જણાવીશ. કશું છુપાવીશ નહિ.”

5 ત્યારે તેમણે યમિર્યાને કહ્યું, “જો તમારી મારફતે યહોવાએ આપેલી બધી સૂચનાઓનું અમે પાલન ન કરીએ તો ભલે યહોવા અમારી વિરુદ્ધ મજબૂત અને વિશ્વાસુ સાક્ષી બની રહે.

6 અમને પસંદ પડે, ન પડે પણ અમે અમારા દેવ યહોવાનું કહ્યું કરીશું, જેની પ્રાર્થના કરવા અમે તમને મોકલીએ છીએ. અમે જો અમારા દેવ યહોવાનું કહ્યું કરીશું તો સૌ સારા વાનાં થશે.”

7 દશ દિવસ વીતી ગયા પછી યમિર્યાને યહોવાએ પોતાનો જવાબ આપ્યો.

8 તે સાંભળી તેણે યહોવાને તથા તેની સાથેના બધા સૈનાનાયકોને તેમજ નાનામોટા બધા લોકોને તેડાવી મંગાવ્યા.

9 અને કહ્યું, “તમે મને ઇસ્રાએલના દેવ યહોવા પાસે તમારી અરજ રજૂ કરવા મોકલ્યો હતો. તે કહે છે;

10 ‘જો તમે ફરી આ દેશમાં જ નિવાસ કરશો તો હું તમને આશીર્વાદ આપીશ, તોડી પાડીશ નહિ, તમારા મૂળીયાં રોપીશ, ઉખેડી નાખીશ નહિ, કારણ તમારા પર મેં આફત ઉતારી તેનો મને પસ્તાવો થાય છે.

11 બાબિલના રાજાથી હવે તમે જરાય ડરશો નહિ, કારણ કે તમારો બચાવ કરવા તથા તેના હાથમાંથી તમને મુકત કરવા હું તમારી સાથે જ છું.

12 હું તમારા પર દયા લાવીને તેના હૃદયમાં તમારે માટે દયા જગાડીશ, અને તે તમને તમારાં વતનમાં પાછા જવા દેશે.’ આ યહોવાના વચન છે.

13 ‘પરંતુ જો તમે યહૂદિયામાં બાકી રહેલા લોકો, એમ કહેવાનુ ચાલુ રાખશો, કે ના, અમે આ શહેરમાં નહિ રહીએ, તો તમે તમારા દેવ યહોવાની આજ્ઞાનું ઉલ્લંધન કરશો.

14 અને એમ કહેશો કે, “અમે આ દેશમાં રહેવા માગતા નથી. અમારે તો મિસર જવું છે, જ્યાં અમારે યુદ્ધ જોવું ન પડે કે રણશિંગડાનો નાદ સાંભળવો ન પડે, તેમ ખાવા માટે અનાજની પણ ખોટ ન પડે. અમારે તો ત્યાં રહેવું છે.’

15 તો યહોવાના વચન ધ્યાનથી સાંભળો. ઇસ્રાએલના દેવ સર્વસમર્થર્ યહોવાના આ વચન છે, ‘જો મિસર જવાનો અને ત્યાં ભાગી જવાનો તમારો નિર્ણય હોય;

16 તો તમે જે યુદ્ધથી ડરો છો તે મિસરમાં પણ તમારો પીછો નહિ છોડે, જે દુકાળથી તમે ડરો છો તે મિસરમાં પણ તમારો પીછો પકડશે, અને ત્યાં તમે મરી જશો.

17 તમારામાંથી જે લોકો મિસરમાં જઇને ત્યાં વસવાનો આગ્રહ રાખે છે તે પ્રત્યેક માટે આ વિપત્તિઓ રાહ જોઇ રહી છે. હા, તમે તરવાર, દુકાળ અને મરકીથી મૃત્યુ પામશો. ત્યાં હું તમારા પર જે સર્વ વિપત્તિઓ લાવીશ તેમાંથી કોઇ પણ બચવા પામશે નહિ.’

18 “કારણ કે આ ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાના વચન છે: ‘જેમ મારો ક્રોધ અને રોષ યરૂશાલેમના વતનીઓ પર વરસ્યો હતો તેમ તે તમારા પર વરસશે જો તમે મિસર જશો તો. તમને જોઇને તે લોકો ભયભીત અને સ્તબ્ધ બની જશે; લોકો તમારી હાંસી ઉડાવશે અને તમારું નામ શાપરૂપ બની જશે. તમે ફરી કદી આ જગ્યા જોવા નહિ પામો.”‘

19 યમિર્યાએ વધુમાં કહ્યું, “યહૂદિયામાં બાકી રહેલા લોકો, તમને યહોવા કહે છે, ‘તમે મિસર જશો નહિ.’ આ બરાબર સમજી લેજો. મેં આજે તમને ચેતવણી આપી દીધી છે.

20 જો તમે જશો તો તમારો જીવ ગુમાવશો, કારણ કે તમે તમારી જાતે જ મને તમારા માટે વિનંતિ કરવા મોકલ્યો હતો અને મને કહ્યું હતું, ‘તમારા યહોવા દેવ તને જે કહે તે તું અમને કહેજે અને અમે તેને આધીન થઇશું.’

21 યહોવાએ મને જે કહ્યું તે સર્વ મેં આજે તમને જણાવ્યું છે. પરંતુ અગાઉ ઘણી વખત કર્યું હતું તેમ હમણાં પણ તમે આધીન થવાના નથી,

22 અને તેથી તમે ખચીત સમજી લોે કે, તમે જ્યાં જવાનો આગ્રહ રાખો છો, તે મિસરમાં તમે યુદ્ધથી, દુકાળથી અને રોગચાળાથી મૃત્યુ પામશો.”

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Jeremias 42, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.