Isaías 66

Gujarati Bible (GL_GUJARATI)

1 યહોવા કહે છે, “આકાશો મારું રાજ્યાસન છે, અને પૃથ્વી મારી પાદપીઠ છે; તમે મારું ઘર ક્યાં બાંધશો? મારું નિવાસસ્થાન ક્યાં ઊભું કરશો?

2 આ આખું વિશ્વ તો મેં જ બનાવેલું છે અને એ બધું તો મારું જ છે.” “હું એવા લોકોનું સન્માન કરીશ, જેઓ દીનદુ:ખી હોય, કચડાયેલા અને ભાંગી પડેલા હોય, અને જે મારી આજ્ઞા માથે ચડાવતો હોય અને જે મારા વચન સમક્ષ ધ્રૂજતો હોય.

3 પરંતુ જે લોકો પોતાની જાતે પોતાના માર્ગની પસંદગી કરીને પોતાનાં પાપોમાં આનંદ માને છે અને જૂઠા દેવોને ધૂપ અર્પણ કરે છે, તેમને હું શ્રાપ આપીશ. દેવ તેમના અર્પણોને માન્ય રાખશે નહિ, આવા માણસો દેવની વેદી પર બળદનું બલિદાન આપે તે મનુષ્યના બલિદાન સમાન ગણાશે અને તેનો સ્વીકાર થશે નહિ. પણ જો તેઓ ઘેટાંનું ખાદ્યાર્પણ લાવે તો તે દેવની ષ્ટિમાં કૂતરાં અથવા ડુક્કરના રકતનું અર્પણ કરવા જેવું ધિક્કારપાત્ર ગણાશે!

4 હું તેઓ જેનાથી ડરે છે એવી આફતો જ પસંદ કરીને એમને માથે ઉતારીશ. કારણ કે મેં હાંક મારી ત્યારે તેઓએ પ્રત્યુત્તર ન આપ્યો. મેં તેઓને સંબોધ્યા ત્યારે તેઓએ સાંભળ્યું નહિ; મારી નજરે જે ખોટું હતું તે તેઓએ કર્યું. અને મને ન ગમે તેવું તેઓએ પસંદ કર્યું.”

5 યહોવાના વચનથી ધ્રૂજનારા, અને જેઓ દેવનો ભય રાખે છે તેઓ આ વચન સાંભળો: “તમારા ભાઇઓ તમારો દ્વેષ કરે છે અને મારા નામ પ્રત્યેના વિશ્વાસુપણાને લીધે તમને કાઢી મૂકે છે, તમારો બહિષ્કાર કરી મહેણાં મારે છે; ‘અમે જોઇએ તો ખરાં કે યહોવા પોતાનો મહિમા કેવો પ્રગટ કરે છે અને તમે કેવા ખુશ થાઓ છો!’ પરંતુ તેઓ પોતે જ ફજેત થશે.”

6 સાંભળો, નગરમાં આ સર્વ કોલાહલ ઊઠે છે, મંદિરમાંથી અવાજ સંભળાય છે! એ પોતાના દુશ્મનો પર વૈર વાળતા યહોવાનો અવાજ છે.

7 “પ્રસવવેદના થતાં પહેલાં બાળકને જન્મ આપનારી સ્ત્રી જેવી આ મારી પવિત્ર નગરી છે.

8 આવું કદી કોઇએ જોયું છે કે સાંભળ્યું છે? શું એક જ દિવસમાં કદી કોઇ દેશ અસ્તિત્વમાં આવે ખરો? સિયોનને પ્રસવ વેદના વેઠવી પડશે નહિ, અને તે પહેલાં એ દેશને જન્મ આપશે.

9 યહોવા તમારા દેવ પૂછે છે કે, પ્રસૂતિકાળ પાસે લાવીને પછી પ્રસવ ન થાય એવું શું હું કરીશ? ના, એમ હું કદી નહિ કરું.”

10 યહોવા કહે છે, “યરૂશાલેમ પર પ્રેમ રાખનારાઓ, તેની સાથે તમે પણ આનંદો, હષોર્લ્લાસ માણો! એને માટે આક્રંદ કરનારાઓ, હવે તેના આનંદમાં આનંદ માનો;

11 માતાની શાતાદાયક છાતીએ ધાવીને બાળક જેમ ધરપત અનુભવે છે તેમ તમે એની ભરી ભરી સમૃદ્ધિ ભોગવીને તૃપ્તિ પામશો.”

12 યહોવા કહે છે, “હું એના પર સરિતાની જેમ સુખશાંતિ વહાવીશ અને ઊભરાતા વહેણાની જેમ પ્રજાઓની સમૃદ્ધિ રેલાવીશ. તમે ધાવશો; કેડે ઊંચકી લેવાશો, ખોળામાં તમને ખૂબ લાડ લડાવાશે.

13 નાનાં બાળકોને જેમ તેની મા દિલાસો આપે છે, તે પ્રમાણે હું તમને દિલાસો આપીશ; અને યરૂશાલેમમાં તમે સૌ દિલાસો પામશો.”

14 તમે જ્યારે યરૂશાલેમને જોશો ત્યારે તમારા હૃદયમાં આનંદ થશે; તમારી તંદુરસ્તી લીલોતરીની જેમ ઉગશે. યહોવાનો ભલાઇનો હાથ તેમના લોકો પર છે, અને તેમનો કોપ તેમના શત્રુઓ પર છે, તે સર્વ પ્રજાઓ જોઇ શકશે.

15 યહોવા અગ્નિની જેમ, વાવંટોળ જેવા રથો સાથે પ્રખર રોષથી અને ભભૂકતા ક્રોધાગ્નિથી આઘાત કરવાને આવી રહ્યા છે.

16 યહોવા આગ અને તરવારથી આખી માનવજાતનો ન્યાય તોળશે, અને ઘણા યહોવાને હાથે માર્યા જશે.

17 જેઓ દેહશુદ્ધિ કરી, સરઘસ કાઢી બીજા દેવોનાં ઉપવનમાં પૂજા કરવા પ્રવેશ કરે છે, “જેઓ ભૂંડનું માંસ, ઊંદર અને સાપોલિયાનાં મના કરાયેલા માંસની ઉજાણી કરે છે, તે બધાનો તેમના કૃત્યો અને વિચારો સાથે દુ:ખદ અંત આવશે.

18 “તેઓ શું કરી રહ્યા છે અને તેઓ શું વિચારી રહ્યા છે તે સર્વ હું જોઇ શકું છું. તેથી હું સર્વ પ્રજાઓને યરૂશાલેમમાં એકઠી કરીશ અને ત્યાં તેઓ મારો મહિમા જોશે.

19 હું તેમને એક એંધાણી આપીશ અને તેમનામાંના બચી ગયેલાઓને જુદી જુદી પ્રજાઓમાં મોકલીશ. હું તેમને લીબિયા અને લ્યુડ તેમના કાર્યકુશળ ધર્નુધારીઓ સાથે, અને તાશીર્શ, (પુટ અને બુદમા,) અને તુબાલ અને ગ્રીસ તથા દૂર દૂરના દરિયાપારના દેશોમાં, જ્યાંના લોકોએ મારા ઉપદેશો સાંભળ્યાં નથી કે મારો મહિમા જોયો નથી, અને મારા મોકલેલા એ લોકો ત્યાંની પ્રજાઓમાં મારો મહિમા પ્રગટ કરશે.

20 અને યહોવાને માટે ઉપહાર તરીકે દરેક પ્રજાઓમાંથી તારા સર્વ ભાઇઓને પાછા લાવશે. ત્યાંથી તેઓને મારા પવિત્ર પર્વત યરૂશાલેમમાં ઘોડાઓ પર, રથોમાં, પાલખીઓમાં, ખચ્ચરો પર તથા ઊંટડીઓ પર બેસાડીને કાળ જીપૂર્વક લાવવામાં આવશે, એમ યહોવા કહે છે. કાપણીના સમયમાં જેમ અર્પણોને યહોવાના શુદ્ધ પાત્રોમાં મંદિરમાં લાવવામાં આવે તેમ તેઓ યહોવાની સમક્ષ અર્પણ રૂપ થશે.

21 તેઓમાંના કેટલાકને હું મારા યાજકો અને લેવીઓ બનાવીશ એમ યહોવા કહે છે.નવું આકાશ અને નવી પૃથ્વી

22 “હું જે નવું આકાશ અને નવી પૃથ્વી બનાવવાનો છું તે મારી નજર સમક્ષ કાયમ રહેશે, તેમ તમારા વંશજો અને તમારું નામ પણ કાયમ રહેશે.

23 વળી યહોવા કહે છે કે, દર મહિને ચદ્રદર્શનને દિવસે અને દર અઠવાડિયે વિશ્રામવારને દિવસે આખી માનવજાત મારી આગળ ઉપાસના કરવા આવશે.

24 “અને તેઓ બહાર જશે ત્યારે મારી સામે બળવો કરનારાંના મુડદાં તેઓ જોશે; કારણ કે તેઓનો કીડો કદી મરનાર નથી; તેઓનો અગ્નિ ઓલવાશે નહિ; અને તેઓ સમગ્ર માણસજાતને ધિક્કારપાત્ર થઇ પડશે.” 

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Isaías 66, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.