Atos 22

Gujarati Bible (GL_GUJARATI)

1 પાઉલે કહ્યું, “મારા ભાઈઓ અને મારા પિતાઓ, મને ધ્યાનથી સાંભળો! હું તમારી આગળ મારો બચાવ કરું છું.”

2 યહૂદિઓએ સાંભળ્યું કે પાઉલ હિબ્રું ભાષા બોલે છે, તેથી તેઓ વધારે શાંત થયા. પાઉલે કહ્યું,

3 “હું એક યહૂદિ છું. મારો જન્મ કિલીકિયા પ્રદેશના તાર્સસમાં થયો હતો. હું આ શહેરમાં ઊછરેલો. હું ગમાલ્યેલનાશિષ્ય હતો. તેણે કાળજીપૂર્વક મને આપણા પૂર્વજોના નિયમો વિષે બધું જ શીખવ્યું. તમે બધા અહીં આજે જે કરો છો તેમ હું દેવની સેવા કરવા વિષે ઘણો ગંભીર હતો.

4 જે લોકો ઈસુના માર્ગને અનુસરતા હતા. તેઓને મેં સતાવ્યા હતા. મારા કારણે તેઓમાંના કેટલાકની હત્યા પણ થઈ હતી. મેં પુરુંષો અને સ્ત્રીઓને પકડ્યા અને મેં તેઓને કારાવાસમાં નાખ્યા હતા.

5 “પ્રમુખ યાજક વડીલ યહૂદિ આગેવાનોની આખી સમિતિ તમને કહી શકશે કે આ સાચું છે! એક વખતે આ આગેવાનોએ મને કેટલાક પત્રો આપ્યા. આ પત્રો દમસ્ક શહેરના યહૂદિ ભાઈઓ માટે હતા. હું ત્યાં ઈસુના શિષ્યોને પકડવા અને તેમને શિક્ષા કરવા માટે યરૂશાલેમમાં પાછા લાવવા જતો હતો.

6 “પરંતુ દમસ્કના મારા માર્ગમાં મારી સાથે કંઈક બન્યું. તે લગભગ બપોર હતી જ્યારે હું દમસ્કની નજીક આવી પહોંચ્યો. અચાનક એક તેજસ્વી પ્રકાશ આકાશમાંથી મારી આજુબાજુ પ્રકાશ્યો.

7 હું જમીન પર પડ્યો. મને કંઈક કહેતી વાણી મેં સાંભળી. ‘શાઉલ, શાઉલ તું શા માટે મારી સતાવણી કરે છે?’

8 “મેં પૂછયું, “પ્રભુ! તું કોણ છે!” તે વૅંણીએ કહ્યું, ‘હું નાઝરેથનો ઈસુ છું. તું જેને સતાવે છે તે હું એક છું.’

9 મારી સાથે જે માણસો હતા તેઓ મારી સાથે જેણે વાત કરી છે તેની વાણી સમજી શક્યા ન હતા. પરંતુ માણસોએ પ્રકાશ જોયો.

10 “મેં કહ્યું, ‘પ્રભુ, મારે શું કરવું જોઈએ?’ પ્રભુએ જવાબ આપ્યો, ‘ઊભો થા અને દમસ્કમાં જા અને મેં તારે કરવાના કામની યોજના કરી છે તે વિષે તને ત્યાં કહેવામાં આવશે.’

11 હું જોઈ શક્યો નહિ કારણ કે તેજસ્વી પ્રકાશે મને આંધળો બનાવ્યો હતો. તેથી જે માણસો મારી સાથે હતા. તેઓ મને દમસ્કમાં દોરી ગયા.

12 “દમસ્કમાં અનાન્યાનામનો માણસ મારી પાસે આવ્યો. અનાન્યા ધર્મિષ્ઠ માણસ હતો. તે મૂસાના નિયમશાસ્ત્રનું પાલન કરતો હતો. ત્યાં રહેતા બધા જ યહૂદિઓ તેને માન આપતા.

13 અનાન્યા મારી પાસે આવ્યો અને મને કહ્યું, ‘ભાઈ શાઉલ, ફરીથી જો!’ તરત જ હું તેને જોવા સાર્મથ્યવાન થયો હતો.

14 ‘અનાન્યાએ મને કહ્યું, ‘અમારા પૂર્વજોના દેવે ઘણા વખત પહેલા તને પસંદ કર્યો છે. દેવે તેની યોજના જાણવા માટે તને પસંદ કર્યો છે. તેણે તને એક ન્યાયી જોવા તથા તેની પાસેથી બોધ સાંભળવા પસંદ કર્યો છે.

15 બધા લોકો સમક્ષ તું તેનો સાક્ષી થશે. તેં જોયેલી અને સાંભળેલી વાતો વિષે લોકોને કહે.

16 હવે વધારે સમય રાહ જોઈશ નહિ. ઊભો થા, અને તેના નામની પ્રાર્થના કરીને બાપ્તિસ્મા લઈને તારા પાપ ધોઇ નાખ.’

17 “પછી, હું યરૂશાલેમ પાછો ફર્યો. હું મંદિરની પરસાળમાં પ્રાર્થના કરતો હતો. અને મેં એક દશ્ય જોયું.

18 મેં ઈસુને જોયો અને ઈસુએ મને કહ્યું, ‘ઉતાવળ કર, યરૂશાલેમ હમણા જ છોડી જા. અહીમના લોકો મારા વિશેનું સત્ય સ્વીકારશે નહિ.’

19 “મેં કહ્યું, ‘પણ પ્રભુ લોકો જાણે છે કે હું તે હતો જેણે વિશ્વાસીઓને કારાવાસમાં નાખીને તેઓને માર્યા હતા. હું દરેક સભાસ્થાનમાં તારા પર જેઓ વિશ્વાસ કરે છે તેઓને શોધવા અને તે લોકોને પકડવા ગયો છું.

20 લોકો એ પણ જાણે છે કે જ્યારે તારા સાક્ષી સ્તેફનને મારી નાખ્યો હતો ત્યારે હું ત્યાં હતો. હું ત્યાં ઊભો રહીને સંમત થયો હતો કે તેઓએ સ્તેફનને મારી નાખવો જોઈએ. જે લોકો તેને મારી નાખતા હતા તેમનાં વસ્ત્રો પણ હું સાચવતો હતો.’

21 “પણ ઈસુએ મને કહ્યું, ‘હવે ચાલ્યો જા. હું તને ઘણે દૂર બિનયહૂદિ લોકો પાસે મોકલીશ.”‘

22 જ્યારે પાઉલે બિનયહૂદિ લોકો પાસે જવાની છેલ્લી વાત કરી ત્યારે લોકોએ ધ્યાનથી સાંભળવાનું બંધ કર્યુ. તેઓ બધાએ બૂમો પાડી, “તેને મારી નાખો! તેને પૃથ્વી પરથી દૂર કરો! આવા માણસને જીવતો રહેવા દેવો ના જોઈએ!”

23 તેઓએ બૂમો પાડી અને તેઓના ડગલા ફેંકી દીધા. તેઓએ હવામાં ધૂળ ફેંકી.

24 પછી સરદારે સૈનિકોને પાઉલને લશ્કરના મકાનમાં લઈ જવા કહ્યું. તેણે પાઉલને મારવા માટે સૈનિકોને કહ્યું. તે પાઉલ પાસે કહેવડાવવા ઈચ્છતો હતો કે લોકો શા માટે આમ તેની વિરૂદ્ધ બૂમો પાડતા હતા.

25 તેથી સૈનિકો પાઉલને બાંધીને મારવાની તૈયારી કરતા હતા. પણ પાઉલે લશ્કરી સૂબેદારને કહ્યું, “શું તમને જે દોષિત સાબિત થયેલ નથી તે રોમન નાગરિકને મારવાનો અધીકાર છે?”

26 જ્યારે સૂબેદાર આ સાંભળ્યું, તે સરદાર પાસે ગયો. તે સરદારે કહ્યું, “તું શું કરે છે તે તું જાણે છે? આ માણસ રોમન નાગરિક છે!”

27 સરદાર પાઉલ પાસે આવ્યો અને પૂછયું, “શું તું રોમન નાગરિક છે?”પાઉલે જવાબ આપ્યો, “હા.”

28 સરદારે કહ્યું, “મેં રોમન નાગરિક થવા માટે ઘણા પૈસા આપ્યા છે.”પણ પાઉલે કહ્યું, “હું તો જન્મથી જ રોમન નાગરિક છું.”

29 ત્યારે જેઓ તેને પ્રશ્રો કરવાની તૈયારીમાં હતા. તેઓ તરત પાઉલને મૂકીને જતા રહ્યા. તે સરદારને ભય હતો કારણ કે તેણે પાઉલને સખત બાંધ્યો હતો અને પાઉલ એક રોમન નાગરિક હતો.

30 બીજે દિવસે યહૂદિઓ પાઉલની વિરૂદ્ધ શા માટે બોલતા હતા. તેનું કારણ જાણવા માટે સરદારે નક્કી કર્યુ. તેથી તેણે મુખ્ય યાજકોને અને યહૂદિઓની ન્યાયસભાને હાજર થવા હુકમ કર્યો. તે સરદારે પાઉલની સાંકળો છોડી. પછી તે પાઉલને બહાર લાવ્યો અને તેઓની સભા આગળ પાઉલને ઊભો રાખ્યો.

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Atos 22, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.