2 Reis 10

Gujarati Bible (GL_GUJARATI)

1 આહાબને 70 પુત્રો હતા જે સમરૂનમાં રહેતા હતા. યેહૂએ સમરૂન શહેરના અમલદારોને, વડીલોને અને આહાબના વંશજોના વાલીઓને લખ્યું;

2 “તમારા રાજાનાં પુત્રો તમારી પાસે છે, તમારી પાસે રથ અને ઘોડા છે, તમારી પાસે કિલ્લેબંધ નગરો અને શસ્રો પણ છે.

3 એટલે આ પત્ર પહોંચતાં જ તમારા ધણીના વંશજોમાંથી જે સૌથી સારો અને લાયક હોય તેને તેના પિતાની રાજગાદીએ બેસાડો અને તમારા ધણીના વંશ માટ યુદ્ધે ચડો.”

4 પણ તેઓ અતિશય ભયભીત થઈ ગયા અને બોલ્યા, “બબ્બે રાજાઓ તેની સામે ટકી ન શકયા, તો પછી આપણે કેમ કરી ટકી શકીશું?”

5 આથી મહેલના મુખ્ય કારભારીઓએ, વડીલોએ, અમલદારોએ અને છોકરાઓના વાલીઓએ યેહૂને સંદેશો મોકલ્યો કે, “અમે આપના તાબેદાર છીએ. આપ જે કહેશો તે અમે કરીશું, પણ અમે કોઈને રાજા જાહેર કરવાના નથી. આપને જે ઠીક લાગે તેમ કરો.”આહાબનાં સંતાનો મારતા સમરૂનના વડીલો

6 ત્યારે યેહૂએ તેમને બીજો પત્ર લખ્યો અને જણાવ્યું, “જો તમે મારે પક્ષે હો, અને મારું કહ્યું કરવા તૈયાર હો, તો આવતી કાલે આ વખતે તમારા રાજાના પુત્રોનાં માથા લઈને યિઝએલમાં મારી સમક્ષ હાજર થઈ જાઓ.” રાજાના 70 રાજકુમારો શહેરના મુખ્ય માણસોનાં હવાલામાં હતાં જેઓ તેમની સુખાકારી માટે જવાબદાર હતાં.

7 જયારે આ પત્ર તેમને પહોંચ્યો ત્યારે તેમણે રાજાના 70 રાજકુમારોને મારી નાખ્યા, અને તેમનાં માથાં ટોપલીઓમાં ભરીને યેહૂને યિઝએલ મોકલી આપ્યાં.

8 સંદેશવાહકે આવીને યેહૂને ખબર આપી કે, “એ લોકો રાજકુંવરોનાં માથાં લઈ આવ્યા છે.”ત્યારે તેણે કહ્યું, “બે ઢગલા કરીને તે માથાં કાલ સવાર સુધી શહેરના દરવાજા આગળ રહેવા દો.”

9 બીજે દિવસે દરવાજામાંથી બહાર આવીને લોકોને કહ્યું, “તમારો કોઈ દોષ નથી. એ તો હું છું કે જેણે મારા ધણીની સામે કાવતરું કરીને તેને મારી નાખ્યો; પણ આ બધાને કોણે મારી નાખ્યા?

10 તમે એ જરૂર સમજી લો કે, યહોવાએ આહાબના કુટુંબ વિરૂદ્ધ ઉચ્ચારણો કર્યા છે અને તેણે જે કહ્યું છે એ બધું જ બનશે. યહોવાએ પોતાના સેવક એલિયા મારફતે સંદેશો મોકલ્યો હતો અને તેણે જે કહ્યું હતું તે સાચું કરી બતાવ્યું છે.”

11 ત્યાર પછી યેહૂએ આહાબના વંશના યિઝએલમાં બાકી રહેલા સૌને તેમજ તેના ઉમરાવોને, નિકટના મિત્રોને અને તેના યાજકોને મારી નાખ્યા, કોઈને જીવતો જવા ન દીધો.

12 પછી યેહૂ સમરૂન જવા નીકળ્યો.

13 રસ્તામાં તેને અહાઝયાના (સબંધીઓ) મળ્યા, તેણે તેમને પૂછયું, “તમે કોણ છો!”તેમણે કહ્યું, “અમે અહાઝયાના સબંધીઓ છીએ અને અમે રાજાનાં અને રાણીનાં સંતાનોને મળવા જઈએ છીએ.”

14 યેહૂએ કહ્યું, “એ લોકોને જીવતા કેદ પકડો.”તેમને જીવતા પકડવામાં આવ્યા પછી, ત્યાં જે ખાડો હતો તેની પાસે તેમને મારી નાખવામાં આવ્યા. એ લોકો 42 હતા, તેમને એકને પણ જીવતો જવા ન દીધો.યહોનાદાબને મળતો યેહૂ

15 ત્યાંથી નીકળીને તે જવા લાગ્યો, ત્યારે સામેથી રેખાબનો પુત્ર યહોનાદાબ તેને મળવા આવતો હતો. તેમણે એકબીજાની કુશળતા પૂછી.પછી યેહૂએ તેને કહ્યું, “હું તારા પ્રત્યે જેવો વિશ્વાસુ છું તેવો તું મારા પ્રત્યે છે?”યહોનાદાબે કહ્યું, “હા છું.”પછી યેહૂએ કહ્યું, “તારો હાથ મને આપ.”અને યેહૂએ તેને રથમાં પોતાની બાજુએ ખેંચી લીધો.

16 યેહૂએ તેને જણાવ્યું, “તું મારી સાથે ચાલ, અને યહોવાને માટે મેં શું શું કર્યુ છે તે જો!”પછી તેણે યહોનાદાબને પોતાની સાથે રથમાં બેસાડી દીધો.

17 સમરૂનમાં દાખલ થતાં જ તેણે ત્યાં બચવા પામેલા આહાબના કુટુંબીજનોની હત્યા કરી, અને આમ, યહોવાએ એલિયાને કહ્યું હતું તે મુજબ તેના વંશનો નાશ કર્યો.

18 પછી યેહૂએ બધાં લોકોને ભેગા કરીને કહ્યું, “આહાબે તો બઆલ દેવની થોડી સેવા કરી હતી, પણ યેહૂ તેની ઘણી વધારે સેવા કરનાર છે.

19 બઆલના તમામ પ્રબોધકો અને યાજકોને બોલાવો. તેઓની સાથે તેઓના બધા જ અનુયાયીઓને પણ હાજર રાખો. એક પણ વ્યકિત બાકી રહેવો જોઈએ નહિ. કારણ કે આપણે, બઆલના ભકતોએ ભેગા થઈને તેની પૂજા માટે મોટી ઉજવણી કરવાની છે. બઆલના માણસોમાંનો જે કોઈ અહીં નહિ આવે તેને મારી નાખવામાં આવશે.”પણ બઆલના ભકતોને મારી નાખવા માટેનું યેહૂનું આ ષડયંત્ર હતું.

20 યેહૂએ હુકમ કર્યો. “બઆલને માટે એક પવિત્ર મેળો બોલાવો.’ અને મેળો બોલાવવામાં આવ્યો.

21 યેહૂએ પોતે સમગ્ર ઇસ્રાએલમાં સંદેશવાહકો મોકલ્યા અને બઆલના બધા જ સેવકો ભેગા થયા. એક પણ માણસ આવ્યા વગર રહ્યો નહિ. તે બધા બઆલના મંદિરમાં એક છેડાથી બીજા છેડા સુધી ભરાયા.

22 પછી યેહૂએ પૂજાનાં વસ્ત્રોના ભંડારીને કહ્યું, “બઆલના બધા સેવકો માટે વસ્ત્રો લાવ.”એટલે તે લઈ આવ્યો.

23 પછી યેહૂ અને રેખાબનો પુત્ર યહોનાદાબ લોકોને સંબોધન કરવા મંદિરના અંદરના ભાગમાં ગયા; તેઓએ કહ્યું, “જેઓ બઆલનું ભજન કરે છે તેઓ જ અહીં હોવા જોઈએ તે ખાસ ધ્યાનમાં રાખજો. જેઓ યહોવાનું ભજન કરે છે તેઓમાંનો કોઈ અહીં હોવો જોઈએ નહિ!”

24 પછી તે યજ્ઞો અને દહનાર્પણો આપવા અંદર ગયો.યેહૂએ 80 માણસોને બહાર ગોઠવ્યા હતા અને તેમને કહ્યું હતું કે, “હું તમને સોંપી દઉં છું. એમાંના કોઈને પણ તમારામાનો જે કોઈ જીવતો જવા દેશે તે પોતે જીવતો નહિ રહે.”

25 દહનાર્પણ પછી તેણે નાયકો અને ચોકીદારોને કહ્યું, “અંદર જાઓ અને બધાંને મારી નાખો, એકનેય જવા દેશો નહિ.”ચોકીદાર અને નાયકોએ અંદર જઈને એકેએકની હત્યા કરતાં કરતાં છેક બઆલના મંદિરના ગર્ભગૃહ સુધી પ્રયાણ કર્યું.

26 બઆલના મંદિરમાં જે સ્તંભ હતો તેને તેઓ બહાર લઇ આવ્યા અને તેને બાળી મૂકયો.

27 આ રીતે તેઓએ બઆલના સ્તંભનો વિનાશ કરી નાખ્યો. તેઓએ બઆલના દેવનું મંદિર તોડી પાડ્યું અને તે જગ્યાને જાહેર શૌચાલય બનાવી દીધું જે આજે પણ છે.

28 આ રીતે યેહૂએ ઇસ્રાએલમાંથી બઆલને સંપૂર્ણ રીતે સમાપ્ત કરી નાખ્યું.

29 જે ઇસ્રાએલ પાસે પાપ કરાવતો હતો તે નબાટના પુત્ર યરોબઆમને ફકત યેહૂ રોકી ન શક્યો. બેથેલ અને દાનમાં ચાલતી સોનાના વાછરડાને પૂજવાની પ્રણાલીને તે બંધ ન કરી શક્યો.

30 પછી યહોવાએ યેહૂને કહ્યું, “આહાબના પરિવારનો નાશ કરવા માટેની મારી આજ્ઞાનું પાલન તેઁ કર્યું છે તેથી હું તારા પુત્રને, પૌત્રને અને પ્રપૌત્રીને એમ ચોથી પેઢી સુધી તારા વંશજોને ઇસ્રાએલની ગાદી પર બેસાડીશ.”

31 પણ યેહૂએ યહોવાના આદેશોનું હૃદયપૂર્વક પાલન ન કર્યું. યરોબઆમ ઇસ્રાએલ પાસે જે પાપ કરાવતો હતો તે કરવામાંથી પોતે દૂર રહી શક્યો નહિ.

32 તે દિવસોમાં યહોવાએ ઇસ્રાએલને નાનું બનાવવાની શરુઆત કરી. હઝાએલે તેમને તેમના પોતાનાજ પ્રદેશમાં હરાવીને તેમની ભૂમિ કબજે કરી.

33 યર્દનથી પૂર્વ તરફ, આનોર્ન નદી પાસે અરોએર સુધી, આખો પ્રદેશ જીતી લીધો, તેમાં ગિલયાદ અને બાશાનનો પ્રદેશ જેમાં ગાદના રૂબેનના અને મનાશ્શાના કુળસમૂહોના લોકો રહેતા હતા, તે આવી જતો હતો.

34 યેહૂના રાજયનાં બીજાં બનાવો અને કાર્યો ઇસ્રાએલના રાજાઓનાઁ કાળ વૃત્તાંતમાં નોંધેલા છે.

35 પછી યેહૂ પિતૃલોકને પામ્યો, અને તેને સમરૂનમાં દફનાવવામાં આવ્યો.

36 તેના પછી તેનો પુત્ર યહોઆહાઝ ગાદીએ આવ્યો. યેહૂએ ઇસ્રાએલ પર સમરૂનમાં અઠ્ઠાવીસ વર્ષ રાજ કર્યું હતું.

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar 2 Reis 10, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.